ઉનાળુ વેકેશન બાદ શાળાઓ વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠી.
ગુજરાતમાં આજથી નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭નો શુભારંભ થયો છે, જેના પગલે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર સહિત રાજ્યભરમાં ૩૫ દિવસના ઉનાળા વેકેશન પછી શાળાઓ પુનઃ ધમધમી ઊઠી છે. ગોધરામાં વિવિધ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને ઉત્સાહભેર આવકારવામાં આવ્યા હતા. પ્રથમ દિવસે વહેલી સવારથી જ શાળાઓમાં બાળકોની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી અને વાલીઓ પણ બાળકોને મૂકવા-લેવા આવ્યા હતા. નવું સત્ર શરૂ થતાં જ વાલીઓ બાળકો માટે સ્ટેશનરી, યુનિફોર્મ અને સ્કૂલ બેગની ખરીદી તેમજ શાળાની ફી અને ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા જેવી બાબતોમાં વ્યસ્ત બન્યા છે.
ઉનાળુ વેકેશન બાદ શાળાઓ વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠી.
96 હજારની સાયબર ફ્રોડ તપાસમાં 2.74 કરોડનું કૌભાંડ
અમરેલી જિલ્લામાં શેરબજારમાં રોકાણના નામે નિર્દોષ નાગરિકોને શિકાર બનાવતી સાયબર ગુનેગારોની ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. 20 દિવસ પહેલા નોંધાયેલી 96 હજારની સાયબર છેતરપિંડીની ફરિયાદની તપાસ કરતાં પોલીસને 2 કરોડ 74 લાખ રૂપિયાનું મોટું કૌભાંડ ધ્યાનમાં આવ્યું. પોલીસે પાટણથી મુખ્ય આરોપી મહેનરજી મફાજી ઠાકોરની ધરપકડ કરી છે, જેના વિરુદ્ધ ગુજરાતમાં 8 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો અગાઉ નોંધાઈ ચૂકી છે. આરોપીએ માત્ર 2 મહિનામાં આટલી મોટી રકમ જમા કરાવી હતી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના સંકલનથી કડક કાર્યવાહી કરી આરોપીને જેલ ભેગો કર્યો છે.
96 હજારની સાયબર ફ્રોડ તપાસમાં 2.74 કરોડનું કૌભાંડ
ગુજરાત સરકારે ખરીફ પાક માટે નર્મદા કેનાલમાં 11 જૂનથી વહેલું પાણી છોડવાનો લીધો નિર્ણય.
ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે મુજબ 11 જૂન, 2026 થી નર્મદાની નહેરોમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે. ખરીફ પાકની તૈયારી કરી રહેલા ખેડૂતોને આ નિર્ણયથી મોટી રાહત મળશે. ધારાસભ્યો અને સાંસદોની રજૂઆતો બાદ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા કરીને આ નિર્ણય લેવાયો છે. તંત્રને સમયસર પાણીના વિતરણ માટે સજ્જ રહેવા સૂચના અપાઈ છે.
ગુજરાત સરકારે ખરીફ પાક માટે નર્મદા કેનાલમાં 11 જૂનથી વહેલું પાણી છોડવાનો લીધો નિર્ણય.
અમદાવાદ: 4 યુવકોએ સગીરને નગ્ન કરી દોડાવ્યો, 2 મહિના જૂના બદલાની વિચિત્ર ઘટના!
અમદાવાદમાં બે મહિના પહેલા થયેલી મારામારીનો બદલો લેવા માટે એક સગીરને જાહેરમાં નગ્ન કરીને દોડાવવાની અતિ ભયાનક ઘટના બની છે. વાડજ પોલીસે આ મામલે ગુનો નોંધી, પાંચમાંથી બે આરોપીઓની અટકાયત કરી લીધી છે. મળતી માહિતી મુજબ, બે મહિના પહેલા સગીર સહિત કેટલાક લોકોએ રોહિત નામના યુવકને માર મારી તેનો વીડિયો બનાવ્યો હતો, જેના કારણે રોહિત અને તેના મિત્રો બદલો લેવાની તક શોધી રહ્યા હતા. ગઈકાલે, તેમણે તે સગીરને પકડીને તેના કપડાં ફાડી નાખ્યા અને તેને નગ્ન અવસ્થામાં રસ્તા પર દોડાવ્યો. આ ભયાવહ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેના પગલે પોલીસે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
અમદાવાદ: 4 યુવકોએ સગીરને નગ્ન કરી દોડાવ્યો, 2 મહિના જૂના બદલાની વિચિત્ર ઘટના!
મુંબઈમાં 10 જૂને ચોમાસાનો પ્રવેશ, ગુજરાતમાં ક્યારે? અંબાલાલ પટેલની મોટી આગાહી.
ગુજરાતમાં અસહ્ય ગરમી વચ્ચે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસા અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છતાં, પ્રિ-મોન્સૂન વરસાદની શક્યતા છે, જેનાથી તાપમાન ઘટશે અને ભેજ વધશે. અંદાજે 10 જૂનની આસપાસ ચોમાસું મહારાષ્ટ્રના મુંબઈમાં પ્રવેશ કરશે. ત્યારબાદ, ગુજરાતમાં મુખ્ય ચોમાસુ રાઉન્ડ 18 થી 28 જૂન દરમિયાન અપેક્ષિત છે, જે રાજ્યના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે. આ વરસાદ વાવણી માટે મદદરૂપ થશે, જોકે શરૂઆતમાં સિસ્ટમ થોડી ધીમી રહી શકે છે.
મુંબઈમાં 10 જૂને ચોમાસાનો પ્રવેશ, ગુજરાતમાં ક્યારે? અંબાલાલ પટેલની મોટી આગાહી.
રાજકોટના હિરાસર એરપોર્ટ પર વિમાનના ટેકઓફ દરમિયાન બર્ડ હિટ
રાજકોટના આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટ પર એર ઇન્ડિયાની દિલ્હી જતી ફ્લાઇટ સાથે ટેકઓફ દરમિયાન બર્ડ હિટની ઘટના બનતા મોટી દુર્ઘટના ટળી હતી. પક્ષી એન્જિનના પંખા સાથે અથડાતા એન્જિનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ અને ફેન બ્લેડને ભારે નુકસાન થયું હતું. ફ્લાઇટમાં 124 મુસાફરો સવાર હતા. પાયલોટે સમયસૂચકતા અને કુશળતા દાખવી તાત્કાલિક ATCનો સંપર્ક કરીને વિમાનનું સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને હાલ વિમાનના સમારકામની કામગીરી ચાલી રહી છે.
રાજકોટના હિરાસર એરપોર્ટ પર વિમાનના ટેકઓફ દરમિયાન બર્ડ હિટ
ખેડૂતોના 30 વર્ષ જૂના કબ્જા પર વન વિભાગનું બુલડોઝર.
કચ્છ પશ્ચિમ વન વિભાગે વન ભૂમિ પરના ગેરકાયદેસર દબાણો સામે કડક ઝુંબેશ શરૂ કરી છે. નખત્રાણા રેન્જના નિરોણા અનામત જંગલમાંથી આશરે ૩૦ વર્ષ જૂનું ૩૦૦ હેક્ટરનું ખેતીવિષયક દબાણ હટાવવાનું ઓપરેશન હાથ ધરી પ્રથમ દિવસે ૧૮૦ હેક્ટર જમીન મુક્ત કરાવાઈ છે. આ કામગીરી વન વિભાગ અને પોલીસના ૧૩૦ જવાનો તેમજ જેસીબી મશીનો દ્વારા કરાઈ હતી. આ ઉપરાંત સાંયરા અને શિણાપર જંગલમાંથી પણ દબાણો દૂર કરાયા છે. વન વિભાગ આગામી વર્ષોમાં આ મુક્ત થયેલી જમીન પર મોટા પાયે વૃક્ષારોપણ કરીને જંગલને ફરી હરિયાળું બનાવશે.
ખેડૂતોના 30 વર્ષ જૂના કબ્જા પર વન વિભાગનું બુલડોઝર.
નલિયા અને નખત્રાણામાં પ્રાંત અધિકારીએ ખનીજ ભરેલી ગાડી પકડી.
પશ્ચિમ કચ્છમાં ખાણખનીજ અને આરટીઓ વિભાગની નિષ્ક્રિયતા વચ્ચે મહેસુલ વિભાગે ગેરકાયદે ખનીજ પરિવહન સામે લાલ આંખ કરી છે. નલિયામાં નાયબ કલેક્ટર ચેતન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ઓવરલોડ બ્લેકટ્રેપ ખનીજ ભરેલી ટ્રક પકડી, મામલતદાર એ.આર. નિનામા દ્વારા રૂ. ૧૦ લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરી નલિયા પોલીસને સોંપાયો હતો. બીજી તરફ, નખત્રાણાના પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલે રોયલ્ટી વિનાની ૩૭.૭૫ મેટ્રિક ટન રેતી ભરેલું ડમ્પર ઝડપી પાડી, મામલતદાર આર. ડી. પટેલ દ્વારા રૂ. ૪૨.૮૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી નખત્રાણા પોલીસ મથકે જમા કરાવ્યો હતો.
નલિયા અને નખત્રાણામાં પ્રાંત અધિકારીએ ખનીજ ભરેલી ગાડી પકડી.
સુરતના ડિમોલિશનનું 'ભૂત' કોણ?, ગૂગલ મેપમાં ખેલ ખૂલ્યો.
સુરતના વેડ દરવાજા પાસે આવેલા વર્ષો જૂના નાસીર નગરમાં મે ૨૦૨૬ના અંતમાં પોલીસ બંદોબસ્ત અને એસએમસી (SMC)ની હાજરીમાં કોઈ પણ પૂર્વ નોટિસ વિના અંદાજે ૧૦૦થી ૧૫૦ મકાનોનું ગેરકાયદે ડિમોલિશન કરાતાં વિવાદ સર્જાયો છે. સ્થાનિકો અને પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ આક્ષેપ કર્યો છે કે બે મોટા ખાનગી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ અને બિલ્ડરોને આર્થિક ફાયદો કરાવવા માટે તંત્રએ આ હિટલરશાહી કાર્યવાહી કરી છે. આ અમાનવીય તોડફોડ વિરુદ્ધ સ્થાનિક રહીશોએ હાઈકોર્ટના દરવાજા ખખડાવી સ્ટે આપવાની, વૈકલ્પિક આવાસ ફાળવવાની અને જવાબદાર અધિકારીઓ સામે એફઆઈઆર (FIR) નોંધવાની માંગ કરી છે.
સુરતના ડિમોલિશનનું 'ભૂત' કોણ?, ગૂગલ મેપમાં ખેલ ખૂલ્યો.
ગંધરહિત અને કાળો-ભૂરો રંગ થાય તે જ સાચું ખાતર.
ગુજરાતમાં ખેડૂતો રાસાયણિક મુક્ત ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે, જેમાં ગોબર આધારિત છાણીયું ખાતર જમીનની ફળદ્રુપતા અને ભેજ જાળવવા ખૂબ અગત્યનું છે. જોકે, યોગ્ય રીતે સડ્યા વગરનું ખાતર વાપરવાથી પાકમાં ફૂગ, દીમક અને મૂળ સડવાનો ભય રહે છે. નિષ્ણાતોના મતે, સાચું ખાતર કાળા-ભૂરા રંગનું, ભુરભુરું અને ગંધરહિત હોય છે. ખેડૂતો ‘વેસ્ટ ડિકંપોઝર’ કલ્ચરની મદદથી ૨૫ થી ૪૦ દિવસમાં સારું ખાતર તૈયાર કરી શકે છે, જે વરસાદના ૨૦ દિવસ પહેલાં ખેતરમાં પાથરવું હિતાવહ છે.
ગંધરહિત અને કાળો-ભૂરો રંગ થાય તે જ સાચું ખાતર.
વિદ્યાર્થીએ AIથી તૈયાર કરી પ્રથમ ‘ટેલિસ્પેક્ટ્રોસ્કોપ’ સિસ્ટમ.
ભુજના ધોરણ-૧૨ સાયન્સના વિદ્યાર્થી ધાર્મિક પ્રિતેશ બલભદ્રે ખગોળવિજ્ઞાન ક્ષેત્રે સંભવતઃ ભારતની પ્રથમ સ્વવિકસિત સિસ્ટમ ‘ટેલિસ્પેક્ટ્રોસ્કોપ’ તૈયાર કરી છે. આ સાધન દ્વારા સૂર્ય, ચંદ્ર અને તારાઓના પ્રકાશને વર્ણપટ (સ્પેક્ટ્રમ) માં વિભાજિત કરીને તેમાં રહેલા રાસાયણિક તત્ત્વોની ઓળખ કરી શકાય છે. ધાર્મિકે પીવીસી પાઇપ, મિરર અને ડિફ્રેક્શન ગ્રેટિંગ સ્લાઇડ જેવા સાધનોનો ઉપયોગ કરી આશરે ૪ હજારના નજીવા ખર્ચે એઆઈ (AI) ની મદદથી આ સિસ્ટમ બનાવી છે, જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા વધારવાનો છે.
વિદ્યાર્થીએ AIથી તૈયાર કરી પ્રથમ ‘ટેલિસ્પેક્ટ્રોસ્કોપ’ સિસ્ટમ.
મહીસાગર: આચાર્યએ નવું પુસ્તક તૈયાર કર્યું.
મહીસાગર જિલ્લાના ઉંદરા ગામના વતની અને છાપરી પ્રાથમિક શાળાના આચાર્ય રૂચિર દયાશંકર ઉપાધ્યાયે સાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવી છે. ૩૮ વર્ષની નાની ઉંમરે વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ અનેક પુસ્તકોનું સર્જન કરનાર રૂચિરભાઈએ હવે અંગ્રેજી ભાષામાં 'The Dark Knight' શીર્ષક હેઠળ ૧૨૬ પાનાંનું નવું પુસ્તક તૈયાર કર્યું છે, જે ટૂંક સમયમાં પ્રકાશિત થશે. તેમની આ સાહિત્યિક સફળતાથી સમગ્ર વરધરી ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજ અને પંથકમાં ગૌરવની લાગણી વ્યાપી છે.
મહીસાગર: આચાર્યએ નવું પુસ્તક તૈયાર કર્યું.
ગોધરામાં વારંવાર વીજ પુરવઠો ખોટકાવાના વિરોધમાં રેલી યોજાઈ.
ગોધરા શહેરમાં વારંવાર ખોરવાતા વીજ પુરવઠા, લો વોલ્ટેજ અને પ્રિ-મોન્સૂન કામગીરીની નિષ્ફળતા સામે ગાયત્રી નગર સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા પ્લે કાર્ડ સાથે બાઈક રેલી યોજવામાં આવી હતી. આ રેલી બામરોલી રોડથી નીકળી એમજીવીસીએલ કચેરીએ પહોંચી હતી, જ્યાં અધિક્ષક ઈજનેર સી.પી. બારીયાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. નાગરિકોએ આક્ષેપ કર્યો કે વીજ કંપનીના ફરિયાદ નંબરો સતત વ્યસ્ત રહે છે અને અધિકારીઓ ફોન ઉપાડતા નથી. અગ્રણી એન.ડી. ઉપાધ્યાય અને વિનાયક શુકલે ચીમકી આપી છે કે જો સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે, તો આગામી દિવસોમાં કચેરી સમક્ષ આમરણાંત ઉપવાસ અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
ગોધરામાં વારંવાર વીજ પુરવઠો ખોટકાવાના વિરોધમાં રેલી યોજાઈ.
વડોદરા: પાદરાની શાળામાં વિદ્યાર્થીઓને સ્વાગત સાથે પ્રવેશ.
પાદરા શાળા પ્રશાસનના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓ માત્ર શૈક્ષણિક ક્ષેત્રે જ નહીં પરંતુ રમતગમત, સાંસ્કૃતિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં પણ આગળ વધે તે માટે સતત પ્રયત્નશીલ છે. વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય અને તેઓ આનંદપૂર્વક શાળાએ આવે તે સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ગીતાંજલિ વિદ્યાલય દ્વારા કરવામાં આવેલા આ ભવ્ય સ્વાગત કાર્યક્રમને વાલીઓએ પણ વધાવી લીધો હતો અને વિદ્યાર્થીઓ પ્રત્યેની સંસ્થાની લાગણી તથા શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને બિરદાવી હતી. નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે જ સમગ્ર શાળા પરિવાર ઉત્સાહ અને ઉર્જાથી છલકાતો જોવા મળ્યો હતો.લિંક ટેક્સ્ટ:
વડોદરા: પાદરાની શાળામાં વિદ્યાર્થીઓને સ્વાગત સાથે પ્રવેશ.
ગોધરા: મોજરી ગામનો વૈભવ નેશનલ સ્કૂલ બેડમિન્ટન સ્પર્ધામાં પ્રથમ.
ગોધરા: મોરવા હડફ્ તાલુકાની શ્રી સ્વામિનારાયણ સ્કૂલ મોજરીના પ્રતિભાશાળી વિદ્યાર્થી વૈભવ સર્જનભાઈ બારીઆએ 16મી ઓપન નેશનલ સ્કૂલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ - 2026માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ પ્રાપ્ત કર્યા બાદ હવે તેઓ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ માટે નેપાળ રમવા જઈ રહ્યા છે. શ્રી સ્વામિનારાયણ સ્કૂલ, મોજરી પરિવાર તરફ્થી તેમને શુભકામનાઓ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભાશિષ પાઠવી આગામી ઈન્ટરનેશનલ સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી છે.
ગોધરા: મોજરી ગામનો વૈભવ નેશનલ સ્કૂલ બેડમિન્ટન સ્પર્ધામાં પ્રથમ.
માધાપરની બેંકમાં રીક્ષા ચાલકના ખાતામાં 47 દિવસમાં ઠગાઈના 7.74 કરોડ ઠાલવાયા.
માધાપરની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં એક રિક્ષા ચાલકના ખાતામાં માત્ર ૪૭ દિવસમાં જ રૂ. ૭.૭૪ કરોડ જમા થતાં ભુજ સાયબર ક્રાઇમ પોલીસે મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે ‘આશાપુરા એન્ટરપ્રાઇઝ’ નામે ખોલાયેલા આ ‘મ્યુલ એકાઉન્ટ’નો ઉપયોગ ઓનલાઈન ઠગાઈના નાણાંની હેરાફેરી માટે થતો હતો અને દેશના વિવિધ રાજ્યોમાંથી આ ખાતા વિરુદ્ધ ૪૭ ફરિયાદો નોંધાઈ હતી. રિક્ષા ચાલક મુકેશ ગજરાએ તેના સંબંધી ધીરજ ભાનુશાળી સાથે મળીને રૂ. ૫૦ થી ૬૦ હજારના કમિશનની લાલચે સાયબર માફિયાઓને આ ખાતું વાપરવા આપ્યું હતું. હાલ પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી સાયબર ગુનેગારોના દેશવ્યાપી નેટવર્ક સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.
માધાપરની બેંકમાં રીક્ષા ચાલકના ખાતામાં 47 દિવસમાં ઠગાઈના 7.74 કરોડ ઠાલવાયા.
ગોધરામાં અધિક માસ નિમિત્તે પ્રસિદ્ધ કથાકાર ધર્મેશ ત્રિવેદી શાસ્ત્રીનું સન્માન.
અધિક માસના પાવન અવસરે ગોધરા સ્થિત હનુમાનજી મંદિરે ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતાં. આ પ્રસંગે બ્રહ્મ સમાજ, ગોધરા દ્વારા પ્રસિદ્ધ કથાકાર ધર્મેશભાઈ ત્રિવેદી શાસ્ત્રીનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન ધર્મેશભાઈ ત્રિવેદી શાસ્ત્રીએ ધર્મ અને સંસ્કૃતિના મૂલ્યો અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ તેમના હસ્તે ધર્મના પ્રતિકરૂપે ખેસ ઓઢાડી ઉપસ્થિત સર્વે ભૂદેવોને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે વિનાયક શુક્લ, કકુલ પાઠક, પ્રકાશભાઈ દીક્ષિત, ડૉ.શ્યામસુંદર શર્મા, ડૉ.રાજેશભાઈ રાવલ, સ્મિતાબેન શુક્લ, નિધીબેન જોશી, ભૂમિબેન જોશી સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ગોધરામાં અધિક માસ નિમિત્તે પ્રસિદ્ધ કથાકાર ધર્મેશ ત્રિવેદી શાસ્ત્રીનું સન્માન.
ગોધરા: જ્વાલા યુવા સંગઠન દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું.
ગોધરા ખાતે જ્વાલા યુવા સંગઠન ઇન્ટરનેશનલ ગ્રુપ દ્વારા ભાટિયા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તા.6ના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો. જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ, ગોધરા એપીએમસી પ્રમુખ માલવદીપસિંહ રાઉલજી, પાલિકા પ્રમુખ જશોદાબેન પ્રજાપતિ, ઉપપ્રમુખ ઇશાંત સોની, કારોબારી અધ્યક્ષ આનંદ ઘડીયાળી સહિત ભાટિયા અગ્રણીઓ, વડીલો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.લિંક ટેક્સ્ટ:
ગોધરા: જ્વાલા યુવા સંગઠન દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું.
મહીસાગર: ફિટ ઈન્ડિયા અંતર્ગત મહીસાગર પોલીસ દ્વારા સાઈકલ રેલી યોજાઇ.
મહીસાગર પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે નાગરિકો અને પોલીસ કર્મચારીઓમાં શારીરિક તંદુરસ્તી તેમજ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે 'ફિટ ઇન્ડિયા અભિયાન' અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેરણાદાયી રેલીને મહીસાગરના નાયબ પોલીસ અધિક્ષક (DySP) કમલેશ વસાવાએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાયકલ રેલીમાં જિલ્લાના વિવિધ પોલીસ મથકોના ઉચ્ચ અધિકારીઓ, મહિલા પોલીસ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઉત્સાહભેર જોડાયા હતા. રેલીનો મુખ્ય હેતુ સતત ફરજ પર તૈનાત રહેતા પોલીસકર્મીઓ પોતાની ફિટનેસ પ્રત્યે સજાગ બને અને જન-જન સુધી સ્વસ્થ ભારતનો સંદેશ પહોંચે તેવો હતો.
મહીસાગર: ફિટ ઈન્ડિયા અંતર્ગત મહીસાગર પોલીસ દ્વારા સાઈકલ રેલી યોજાઇ.
દાહોદમાં પુસ્તકની પરબ: જ્ઞાનની જ્યોત જગાવવાનો અનોખો પ્રયાસ.
દાહોદ શહેરમાં સાહિત્યપ્રેમીઓની એક ટીમ દ્વારા યુવા પેઢીમાં પુસ્તક સંસ્કૃતિને પુનઃજીવિત કરવા માટે 'પુસ્તક પરબ'નો પ્રશંસનીય પ્રારંભ કરાયો છે. ગોધરા રોડ સ્થિત દેસાઈવાડામાં દર મહિનાના પ્રથમ રવિવારે સવારે ૮ થી ૧૦:૩૦ દરમિયાન યોજાતા આ પરબમાં વાચકોને કોઈપણ શુલ્ક વિના પુસ્તકો ઘરે વાંચવા માટે આપવામાં આવે છે, જે વાંચીને પરત કરવાના રહે છે. આ ઉપરાંત, અહીં પુસ્તકોનું દાન પણ સ્વીકારવામાં આવે છે. આધુનિક યુગમાં સ્ક્રીન ટાઈમ ઘટાડી સમાજમાં વાંચનનું વાતાવરણ ઊભું કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલી આ પહેલ પાછળ નીલમ જાદવ, અમીષાબેન પંચાલ, જહુરુદીન શેખ, રવિન્દ્રભાઈ પ્રજાપતિ, રમેશભાઈ પરમાર અને રીતેશભાઈ સોનીની ટીમ નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહી છે.
દાહોદમાં પુસ્તકની પરબ: જ્ઞાનની જ્યોત જગાવવાનો અનોખો પ્રયાસ.
ગોધરા: રૂપિયા 2.79 કરોડના ચકચારી કૌભાંડના બે આરોપીની ધરપકડ.
પંચમહાલ જિલ્લા સમગ્ર શિક્ષા અભિયાન વિભાગમાં રૂા. ૨.૭૯ કરોડની ઉચાપતના કૌભાંડમાં ગોધરા બી ડિવિઝન પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા શિક્ષણ સમિતિના હિસાબી અધિકારી આર.કે. રાઠોડ દ્વારા નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે મુખ્ય બે આરોપીઓ—તત્કાલિન હિસાબી અધિકારી પૂજન રમેશચંદ્ર જોષી અને નિતિનકુમાર જયંતીભાઈ પટેલની તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ પર સરકારી ધારાધોરણ મુજબ ખરીદી પ્રક્રિયા કર્યા વિના, બનાવટી બિલોના આધારે એજન્સીઓને નાણાં ચૂકવી કુલ રૂા. ૨,૭૯,૫૯,૮૧૬ની ઉચાપત કરવાનો આરોપ છે. પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ૩ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
ગોધરા: રૂપિયા 2.79 કરોડના ચકચારી કૌભાંડના બે આરોપીની ધરપકડ.
પાનમ નદી પરનો ચાર વર્ષથી બંધ બ્રિજ આખરે ખૂલ્લો મૂકાયો.
અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઈવે પર મોરવા હડફ તાલુકાના સંતરોડ ગામ નજીક પાનમ નદી પરનો જૂનો બ્રિજ છેલ્લા ચાર વર્ષથી બંધ હતો, જેનું સમારકામ પૂર્ણ થતાં ૮ જૂનના રોજ તેને વાહનોની અવરજવર માટે પુનઃ ખુલ્લો મુકાયો છે. લોડ બેરિંગ ક્ષતિના કારણે આ બ્રિજ બંધ કરી ટ્રાફિકને એક જ લેન પર ડાયવર્ટ કરાતા વારંવાર ટ્રાફિક જામ અને અકસ્માતો થતા હતા. સ્થાનિકોની રજૂઆત બાદ રાજ્યસભાના સાંસદ ડો. જશવંતસિંહ પરમારે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે બેઠક યોજી સમયમર્યાદામાં કામ પૂર્ણ કરાવ્યું હતું. બ્રિજ શરૂ કરાતા હવે મધ્યપ્રદેશ અને ગુજરાત વચ્ચે દોડતા વાહનોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે.
પાનમ નદી પરનો ચાર વર્ષથી બંધ બ્રિજ આખરે ખૂલ્લો મૂકાયો.
ઊંડી તપાસ કરવાની માગણી તેજ: જૈન મુનિઓ સાથેના અકસ્માતથી સમાજમાં આક્રોશ.
મુંબઈ-અમદાવાદ હાઈવે પર નાકોડાધામ નજીક પતરાપુલ પાસે ગુજરાતથી મુંબઈ તરફ વિહાર કરી રહેલા જૈન સાધુઓ અને તેમના સેવકોને એક અજાણ્યા ટ્રકે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં નેમીસુરી સમુદાયના ૮૨ વર્ષીય વરિષ્ઠ જૈન મુનિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય સિંહસેન સુરીશ્વરજી મ.સા. ગંભીર રીતે ઘાયલ થતાં તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યાં હાલ તેમની તબિયત સ્થિર છે. આ અકસ્માતને પગલે જૈન સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો છે; પત્રકાર સંઘના પ્રમુખ ભુપેન્દ્ર શાહ અને એડવોકેટ પ્રફુલ્લ શાહે આ મામલે કાવતરાના એન્ગલથી ઊંડી તપાસની માગ કરી કડક કાર્યવાહી ન થવા પર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ઊંડી તપાસ કરવાની માગણી તેજ: જૈન મુનિઓ સાથેના અકસ્માતથી સમાજમાં આક્રોશ.
શબ્દની ખેતી, અર્થના ઉતારા: ભાવકો મૂર્ખ નથી, કવિતાને કવિતાના સ્વરૂપે પ્રગટ કરો.
જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ દ્વારા માસિક સાહિત્યિક ઉપક્રમે ‘સાહિત્ય કલરવ’ અંતર્ગત કાર્યક્રમ ક્રમાંક ૫૧નું સફળ આયોજન કરાયું હતું, જેમાં ભાવનગર અને રાજકોટથી પણ સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય વક્તા અને જાણીતા વિવેચક ડૉ. ગુણવંત વ્યાસે ‘શબ્દની ખેતી ને અર્થના ઉતારા’ વિષય પર પ્રેરણાદાયી વ્યાખ્યાન આપતા જણાવ્યું કે, શબ્દ એ માનવચેતનાની સંવેદનાઓનો વાહક છે અને દરેક સર્જકે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી ચીલાચાલુથી અલગ નવી કેડી કંડારવી જોઈએ. આ પ્રસંગે કવિઓએ પ્રેમ, પ્રકૃતિ અને સામાજિક વિષયો પર પોતાની આગવી શૈલીમાં રજૂ કરેલી કાવ્યપંક્તિઓને શ્રોતાઓએ ભારે ઉત્સાહથી વધાવી લીધી હતી.
શબ્દની ખેતી, અર્થના ઉતારા: ભાવકો મૂર્ખ નથી, કવિતાને કવિતાના સ્વરૂપે પ્રગટ કરો.
દેડિયાપાડા અને ચિકદા તાલુકામાં શ્રામિકોને રોજગારી પૂરી પાડવામાં આવી.
દેડિયાપાડા અને ચિકદા તાલુકામાં ‘વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ યોજના’ શ્રમિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. દેડિયાપાડાના ટીડીઓ યોગેશભાઈ અને ચિકદાના ટીડીઓ ભાવેશભાઈના માર્ગદર્શન હેઠળ બંને તાલુકાની ૪૬ ગ્રામ પંચાયતોમાં આ યોજના કાર્યરત છે. કાળઝાળ ગરમી અને વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ ૬૭,૭૦૩ શ્રમિકોને પથ્થર પાળા, જમીન સમતલ, પ્રધાનમંત્રી આવાસ જેવા વ્યક્તિગત કામો તેમજ તળાવ અને ચેકડેમ ઊંડા કરવા જેવા સામૂહિક કાર્યો દ્વારા રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે. સરકાર તરફથી મળતી ૧૨૫ દિવસની રોજગારીની આર્થિક સહાયથી શ્રમિકો ઘરની પ્રાથમિક સુવિધાઓ મેળવી રહ્યા છે.
દેડિયાપાડા અને ચિકદા તાલુકામાં શ્રામિકોને રોજગારી પૂરી પાડવામાં આવી.
ભરૂચ: અધિક માસ નિમિત્તે જંબુસરમાં આયોજિત શ્રી વિષ્ણુયાગ સંપન્ન.
ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે પવિત્ર અધિક માસ નિમિત્તે શ્રી કાછિયા પટેલ સમાજની ત્રણ પંચ વાડીમાં આયોજિત બે દિવસીય શ્રી વિષ્ણુયાગ મહોત્સવ વૈદિક પરંપરા અને ધાર્મિક ઉત્સાહ સાથે સંપન્ન થયો છે. આ મહોત્સવ દરમિયાન વિશ્વ કલ્યાણ અને સુખ-શાંતિની પ્રાર્થના સાથે ‘નમો ભગવતે વાસુદેવાય’ મહામંત્રની સવા લાખ આહુતિઓ આપવામાં આવી હતી. યજ્ઞના પ્રસંગે અધ્યક્ષ એચ. કે. પટેલ, ઠાકોરભાઈ અમનપુરવાલા, તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ, એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી, સંજયસિંહ યાદવ, ડૉ. દીપકભાઈ રાઠોડ અને પ્રતાપભાઈ સોની સહિતના અનેક રાજકીય-સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ: અધિક માસ નિમિત્તે જંબુસરમાં આયોજિત શ્રી વિષ્ણુયાગ સંપન્ન.
ભરૂચ: એક્સિસ બૅંક દ્વારા રૂા.1.08 કરોડનો ક્લેમ અર્પણ કરાયો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર એ. ડિવિઝન પોલીસ મથકે ફરજ બજાવતા સ્વ. જયદેવભાઈ ડાભીનું અકસ્માતમાં અવસાન થતાં તેમના પરિવારને એક્સિસ બેંક દ્વારા પોલીસ સેલરી એકાઉન્ટ યોજના અંતર્ગત રૂા. ૧.૦૮ કરોડનો વીમા ક્લેમ એનાયત કરાયો છે. બેંક સાથે થયેલા MoU અંતર્ગત મંજૂર થયેલા આ ક્લેમનો ચેક ભરૂચ જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાના હસ્તે મૃતકના પરિવારજનોને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે એસપી અક્ષયરાજ મકવાણાએ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી મુશ્કેલ સમયમાં આર્થિક સહારો પૂરો પાડતી આ યોજનાની અને ક્લેમ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા બદલ એક્સિસ બેંકની કામગીરીની પ્રશંસા કરી હતી.
ભરૂચ: એક્સિસ બૅંક દ્વારા રૂા.1.08 કરોડનો ક્લેમ અર્પણ કરાયો.
નર્મદા: ખુશીના લગ્નમાં કુંવરબાઇનું મામેરું યોજના લાવી અનોખી ખુશી.
નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રહેતા અને છૂટક ફળ વેચીને ગુજરાન ચલાવતા યોગેશભાઈ માછીના પરિવાર માટે ગુજરાત સરકારની ‘કુંવરબાઇનું મામેરું યોજના’ આર્થિક આશીર્વાદરૂપ સાબિત થઈ છે. વર્ષ ૨૦૨૫ના નવેમ્બરમાં આર્થિક સંકડામણને કારણે પરિવારે દીકરી ખુશીના લગ્ન સમૂહ લગ્નમાં કરાવ્યા હોવા છતાં, કરિયાવર અને અન્ય પરચૂરણ ખર્ચના લીધે પિતા પર દેવું થઈ ગયું હતું. લગ્નના ગણતરીના દિવસોમાં જ આ યોજના અંતર્ગત ખુશીબેનને રૂ. ૧૨,૦૦૦ની સહાય મળતા પરિવારને લગ્નનું દેવું ચૂકવવામાં મોટી આર્થિક રાહત મળી છે, જેના માટે ખુશીબેને સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
નર્મદા: ખુશીના લગ્નમાં કુંવરબાઇનું મામેરું યોજના લાવી અનોખી ખુશી.
નર્મદા: સરકારે 3 મહિનાથી ઇન્સેન્ટિવ આપ્યુ નહીં હોવાથી આશા વર્કરોમાં રોષ.
નર્મદા જિલ્લાની આશા વર્કર બહેનોએ આજે રાજપીપળા જિલ્લા પંચાયત કચેરી ખાતે એકત્રિત થઈને ઇન્સેન્ટિવ વધારાની માગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આશા બહેનોના જણાવ્યા મુજબ, તેમને માત્ર રૂ. ૨,૦૦૦નું ઇન્સેન્ટિવ મળે છે, જે પણ છેલ્લા ત્રણ મહિનાથી મળ્યું નથી. આ ઉપરાંત, અતિ જોખમી સગર્ભા બહેનોની ડિલિવરી કરાવા અંગેનું અને ચૂંટણીની કામગીરી માટેનું મહેનતાણું હજી સુધી ચૂકવવામાં આવ્યું નથી. આશા બહેનોએ સમયસર પગાર, ભથ્થાંમાં ૫૦ ટકાનો વધારો અને બાકી નાણાં ચૂકવવાની માગ કરી છે અને ચેતવણી આપી છે કે જો તેમની માગણીઓ સંતોષવામાં નહીં આવે, તો તેઓ તમામ આરોગ્યલક્ષી કામગીરીથી અળગી રહેશે.
નર્મદા: સરકારે 3 મહિનાથી ઇન્સેન્ટિવ આપ્યુ નહીં હોવાથી આશા વર્કરોમાં રોષ.
ભરૂચ: તંત્ર દ્વારા લાખોનો ખર્ચ છતાં અછાલીયાનું તળાવ ખાલીખમ.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અછાલિયા ગામના ૧૨ એકરમાં ફેલાયેલા સૌથી મોટા તળાવમાં છેલ્લા ત્રણ દાયકાથી સિંચાઈ અને જી-રામજી (મનરેગા) યોજના હેઠળ લાખો રૂપિયાના ખર્ચે દર વર્ષે ખોદકામ અને વનીકરણ કરાય છે, છતાં યોગ્ય આયોજનના અભાવે તળાવ જળ વિહોણું રહેતા ગામમાં પાણીની તંગી વર્તાઈ રહી છે. ચોમાસામાં તળાવની બાજુની ખાડીમાંથી વહી જતા પાણીને રોકવા ત્યાં આડબંધ કે ચેકડેમ બનાવીને પાણી તળાવ તરફ વાળવામાં આવે તેવી ગ્રામજનોની માગ છે. શહેરોની જેમ ગ્રામ્ય તળાવોના બ્યુટીફિકેશન માટે ગ્રાન્ટ ફાળવાય તો જળસંગ્રહ થઈ શકે.
ભરૂચ: તંત્ર દ્વારા લાખોનો ખર્ચ છતાં અછાલીયાનું તળાવ ખાલીખમ.
અંકલેશ્વર પાલિકાએ 3 જર્જરિત ઇમારતોને જમીનદોસ્ત કરી.
અંકલેશ્વર નગરપાલિકાએ ચોમાસા પહેલાં જાહેર સુરક્ષા અર્થે ત્રણ અતિ જર્જરિત ઇમારતોને જમીનદોસ્ત કરી દીધી છે, જ્યારે અન્ય ૨૦ જર્જરિત મકાનોના માલિકોને નોટિસ પાઠવી છે. પાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડીયાએ મકાન માલિકોને વહેલી તકે આ જોખમી બાંધકામો ઉતારી લેવા સૂચના આપી છે. ચીફ ઓફિસરે વધુમાં જણાવ્યું છે કે જો નિર્ધારિત સમયમર્યાદામાં મકાન માલિકો દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે, તો નગરપાલિકા તંત્ર દ્વારા નિયમ મુજબ કડક પગલાં ભરીને મકાનો ઉતારી પાડવામાં આવશે. ચોમાસામાં સંભવિત અકસ્માતો રોકવા માટે તંત્ર બાકીના જોખમી મકાનો અંગે પણ સતત કાર્યવાહી કરી રહ્યું છે.