વિશ્વ સાપ દિન
16th July
આપણી આસપાસ વસતા સેંકડો પ્રકારના સજીવોમાં વિવિધ પ્રકારના સાપ માનવ સમાજમાં જુદા જ પ્રકારનું મહત્ત્વ ધરાવે છે. તેના અંગે કેટલીક ગેરસમજો પણ પ્રવર્તતી જોવા મળે છે. જેથી સાપ વિશે લોકોમાં સમજ વિકસે તેમજ પર્યાવરણમાં તેમનું મહત્ત્વ સમજાય તે હેતુ ધ્યાનમાં રાખી પ્રતિ વર્ષ 16 જુલાઈ ને વિશ્વ સાપ દિન તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે લોકોને સાપની પ્રજાતિઓ અંગે જાણકારી આપવામાં આવે છે. ભારતમાં સાપની પૂજા થાય છે અને નાગને ભગવાન સ્વરૂપ માનવામાં આવે છે. વિશ્વમાં સાપની અંદાજે 2,900 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે.
 
માનવ નજરમાં સાપની નકારાત્મક ભૂમિકા હોય છે અને લોકો તેમને પ્રાણીઓના સૌથી મોટા દુશ્મન માને છે. તેથી જ મોટાભાગના લોકો સાપને જોતાં જ તેને મારી નાખે છે. પરંતુ આપણે બધાએ એ જાણવું જોઇએ કે, આપણા પર્યાવરણને સંતુલિત કરવામાં સાપ મોટી ભૂમિકા ભજવે છે. અનાજ, કપડાં અને અન્ય ખાદ્યપદાર્થોને નુકસાન પહોંચાડતા ઉંદર, કીટકો વગેરે સાપનો ખોરાક છે. જેમનું જૈવિક નિયંત્રણ સાપ દ્વારા જ શક્ય છે. સાપ પ્રકૃતિનું સંતુલન જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ઉપરાંત તેના વિષમાંથી બનતી દવાઓ પણ ઉપયોગી બને છે.

ભારતમાં સાપની અંદાજે 250 જાતિઓ છે, તેમાં 50 જેટલા ઝેરી સાપ છે. ઝેરી સાપોમાં જમીન પર વસતા ઝેરી સાપો ની સંખ્યા માત્ર 4 છે. જેમાં નાગ, કાળોતરો, ફુરસો અને ચિતળ નો સમાવેશ થાય છે. આંધળા સાપ, આંધળી ચાકણ, અજગર, ધામણ, વૃક્ષ-સર્પ જેવા બિનઝેરી સાપ પણ જોવા મળે છે. મોટાભાગના ભારતીય સાપોમાં ઈંડાંનો સેવનકાળ 60 થી 90 દિવસ નો હોય છે. સાપનું આયુષ્ય 4 થી 25 વર્ષ ની વચ્ચે હોય છે. સાપ તેની જીભ વડે ગંધની દિશા પારખે છે. સાપનું હૃદય તેના લાંબા શરીરમાં આગળ પાછળ સરકીને જગ્યા બદલી શકે છે જેથી તે કોઇ મોટું જાનવર સહેલાઇથી ગળી શકે છે.

મોટા ભાગના સાપ ડંખ મારીને શિકારના શરીરમાં ઝેર દાખલ કરે છે. કેટલાક સાપ જડબામાંથી ઝેરની પિચકારી મારી શકે છે. સાપની આંખ ઉપર પોપચાં હોતા નથી, તે હંમેશાં ખુલ્લી રહે છે. સાપનાં ફેફસાં, લીવર, કિડની અને આંતરડાં તેના શરીરના પ્રમાણમાં લાંબા આકારનાં હોય છે. સાપ અવાજ સાંભળી શકતા નથી પણ અવાજના મોજાંની ધ્રૂજારી અનુભવી શકે છે. સૌથી નાનો સાપ બ્રાહ્મણી અંધ સાપ છે, જે આશરે બે ઇંચનો હોય છે. જ્યારે સૌથી મોટા સાપ એનાકોન્ડા આશરે 40 ફૂટ લાંબા હોય છે. સાપ તેના શરીરની ચામડીનું આવરણ નિયમિત બદલે છે. તેને કાંચળી કહે છે.

સાપ કરડે ત્યારે શું કરવું:
  • જો તમને અચાનક સાપ કરડે તો તમારે ડરવું જોઈએ નહિ કારણ કે ડરી જવાથી હ્રદયના ધબકારા વધી જાય છે અને લોહીના દબાણમાં ફેરફાર થાય છે. પીડિત વ્યક્તિ સાથે વાત કરી તેનો ડર દૂર કરવાનો પ્રયાસ કરવો.
  • જે જગ્યાએ સાપ કરડ્યો હોય તે જગ્યાને ચોખ્ખા કપડાંની મદદથી સાફ કરવી.
  • અસરગ્રસ્તને ડંખની જગ્યા પર મલમ અથવા તો પાટો બાંધીને નજીકના દવાખાને લઈ જવો.
  • પીડિત વ્યક્તિને સોજો આવે તે પહેલાં પાટો કાઢી લેવો જોઈએ.
સાપ કરડે ત્યારે શું ન કરવું:
  • સાપ ડંખ મારે તે ભાગમાં ચીરો ન પાડવો.
  • શરીરના જે પણ ભાગમાં સાપે ડંખ માર્યો હોય તે ભાગ હલાવવો નહીં.
  • દર્દીને જાતે કોઈપણ દવા કે પેઇન કિલર આપવી જોઈએ નહીં.
આપણા ભારત દેશમાં સાપને લગતી કેટલીક કહેવતો પણ છે:
  • સાપના દરમાં હાથ નાંખવો
  • સાપે છછૂંદર ગળવું
  • દૂધ પાઈને સાપ ઉછેરવો
  • સાપને ઘેર પરોણો સાપ
  • ગ્રહણ ટાણે સાપ નીકળવો
  • ઝાઝી કીડી સાપને તાણી જાય
  • સંઘર્યો સાપ પણ કામ આવે
  • સાપ ગયા અને લીસોટા રહ્યા