આજથી આત્મશુદ્ધિ, સંયમ અને ક્ષમાભાવનું મહાપર્વ પર્યુષણનો મંગલ પ્રારંભ
આજથી આત્મશુદ્ધિ, સંયમ અને ક્ષમાભાવનું મહાપર્વ પર્યુષણનો મંગલ પ્રારંભ
Published on: 08th September, 2026

પાટણ સહિત રાજ્યભરમાં જૈન સમાજના પ્રાણ સમાન આત્મશુદ્ધિ, સંયમ, ક્ષમા અને આત્મચિંતનનો પવિત્ર મહોત્સવ "પર્વાધિરાજ પર્યુષણ"નો ધર્મોલ્લાસભેર પ્રારંભ થયો છે. જૈન તીર્થ શંખેશ્વર સહિત વિવિધ સ્થળે પૂજ્ય ગુરુ ભગવંતોની નિશ્રામાં જૈન શ્રાવકો આઠ દિવસ સુધી ભક્તિ-આરાધનામાં લીન બનશે. આ પર્વ જીવન જીવવાની સાચી કળા છે, જેમાં મનની કલુષિતતા, ક્રોધ, અહંકાર અને લોભનો ત્યાગ કરી દરેક જીવ પ્રત્યે કરુણા દાખવવી એ જ સાચું તપ છે. આ દિવસોમાં ભગવાન મહાવીર સ્વામીના અહિંસા, સત્ય, અપરિગ્રહ અને ક્ષમાના સંદેશનું સ્મરણ કરી આત્માને નિર્મળ બનાવવામાં આવે છે. સાધકો પ્રતિક્રમણ, સ્વાધ્યાય, જિનપૂજા અને કઠોર તપ-જપથી આરાધના કરશે.